જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ અને એક બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ

0
76600

જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ અને એક બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ

  • પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ, બાળકોના આરોગ્ય પર ખાસ નજર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯, જુલાઈ ૨૬ જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતાં અને એક બાળક નું મૃત્યુ નિપજતાં આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. શહેરના ખોડીયાર કોલોની અને દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકાની ટીમોએ સાવચેતીના પગલાં તેજ કર્યા છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય (રેતી માખી) પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના નાના બાળકોના આરોગ્યની સઘન તપાસ, ઘર-ઘર સર્વે અને સતત મોનીટરીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ નવા શંકાસ્પદ દર્દી સામે આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના બાળકો ધરાવતા પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તબીબોએ વાલીઓને બાળકોને માખી અને મચ્છરથી સુરક્ષિત રાખવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ તાવ, ઊલટી, બેભાન થવા અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે.