જામનગરમાં ધોળા દિવસે ઘાતકી હુમલો : ૬ આરોપીઓ ૩ દિવસમાં જામીન મુક્ત

0
104136

સામાન્ય બોલાચાલીના ખારનો મામલો : ધોળા દિવસે લોખંડના પાઇપથી હુમલાના કેસમાં ૬  આરોપીઓને જામીન

  • સીસીટીવી ફૂટેજ અને ગુનાહિત ઇતિહાસની સરકારી વકીલની દલીલો સામે બચાવ પક્ષ રાજેશ ગોસાઈની રજૂઆતો કોર્ટે ગ્રાહ્ય રાખી

  • આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે અને પીડિત હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દેશ દેવી ન્યુઝ તા. ૧૮ સપ્ટેમ્બર ૨૬ જામનગરમાં સામાન્ય બોલાચાલીના ખારને લઈને ધોળા દિવસે ભીડભાડવાળા વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં ઝડપાયેલા છ આરોપીઓને અદાલતે શરતોને આધીન જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગતો મુજબ, ગત તા. ૨૭-૦૮-૨૦૨૬ના રોજ ફરિયાદી ઇજાગ્રસ્ત સુલતાન ઇશાકભાઈ હાલાણી પોતાના ઘરની નજીક સોફા પર બેઠા હતા. એ દરમિયાન આરોપીઓએ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને એકસંપ કરી તેમના પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.આરોપીઓ તરફથી નિયમિત જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે આરોપીઓને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યા છે, બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાયેલી છે અને તપાસનો મહત્ત્વનો ભાગ પૂર્ણ થઈ ચૂક્યો છે. આરોપીઓ સ્થાનિક રહેવાસી હોવાથી ફરાર થઈ જવાની કે પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા નહીં હોવાનું પણ જણાવાયું હતું.બંને પક્ષોની દલીલો અને કેસના રેકોર્ડને ધ્યાનમાં લઈને જામનગરની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તમામ છ આરોપીઓને યોગ્ય શરતોને આધીન જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ હિદાયત ફીરોજભાઈ સુધાગુનીયા, સાહીલ સલીમભાઈ સુધાગુનીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, સીકંદર મામદભાઈ કોચલીયા, અજરૂદ્દીન હાજીભાઈ મકવાણા અને હાસમ રફીકભાઈ ખેરાણી તરફે જાણીતા એડવોકેટ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા સહિતના તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.