જામનગરમાં અપશબ્દ બોલવાની શંકામાં રાજપૂત યુવાનની હત્યા

0
326602

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં અપશબ્દો બોલવાની શંકામાં એક રાજપૂત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા : પાંચ સામે હત્યાનો ગુનો નોંધાયો

  • ગોકુલનગરમાં ગત રાત્રે બનેલી હીંચકરા હુમલા ની ઘટનામાં એક યુવકનું મોત, અન્ય ભાઈને પણ માર માર્યાની ફરિયાદ; પોલીસે તપાસ હાથ ધરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮, જુલાઈ ૨૬ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉં.વ. ૩૦), રહે. ગોકુલનગર, શેરી નં. ૧૧, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૧૭ જુલાઈની રાત્રે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગાળો બોલતા હતા. તે બાબતે સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા જતાં તેઓ ફરિયાદીના ઘરે આવી તેમના ભાઈઓ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાધેલા, જોષનાબા તથા તેમના પતિ ત્યાં આવી પહોંચ્યા હતા.ફરિયાદ મુજબ પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા પાસે છરી અને જયલો રાઠોડ પાસે લાકડાનો ધોકો હતો. થોડા સમય બાદ બહારથી બૂમો પડતા ફરિયાદી બહાર નીકળ્યા ત્યારે તેમના ભાઈ પ્રદીપસિંહ જેઠવા ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. આરોપી પ્રદીપસિંહે છરીના ઘા મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે જ અન્ય આરોપીઓએ ફરિયાદીના બીજા ભાઈ મયુરસિંહને પણ ઢીકા-પાટુનો માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, અને બનાવ હત્યા માં પલટયો હતો.આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા તથા જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.