જામનગરમાં પત્રકાર કિંજલ કારસરીયા સામે નોંધાયેલી FIR રદ કરવા કલેક્ટરને રજૂઆત

0
149

પત્રકાર કિંજલ કારસરીયા સામે નોંધાયેલી FIR રદ કરવા કલેક્ટરને રજૂઆત

  • સમગ્ર મામલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (Press Council of India) સમક્ષ રજૂઆત

  • મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને સંબોધન: ભવિષ્યમાં પત્રકારો કે જાગૃત નાગરિકો પર આવી અન્યાયી કાર્યવાહી ન થાય તે માટે અપીલ

  • પ્રજાકીય પ્રશ્નો ઉઠાવવા બદલ ખોટી ફરિયાદ નોંધાવી પત્રકારત્વનો અવાજ દબાવવાનો પ્રયાસ

  • એસ.ટી.ના અધિકારીઓ સામે તટસ્થ તપાસ અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ : આવેદનપત્રની નકલ જિલ્લા પોલીસવડાને પણ પાઠવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૯ સપ્ટેમ્બર ૨૬ જામનગર-કાલાવડ રૂટની એસ.ટી. બસને લગતા પ્રજાકીય પ્રશ્નોને સતત વાચા આપતા સ્થાનિક પત્રકાર અને જામનગર પત્રકાર મંડળના મંત્રી કિંજલ કારસરીયા વિરુદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ને પગલે પત્રકાર આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. આ FIR તાત્કાલિક રદ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જામનગર પત્રકાર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફત પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે પત્રકાર કિંજલ કારસરીયા છેલ્લા ઘણા સમયથી જામનગર-કાલાવડ રૂટની એસ.ટી. બસ સુવિધાને લગતા પ્રશ્નો અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ સ્થાનિક એસ.ટી. ડેપો અને ડિવિઝન કક્ષાએ સતત રજૂઆતો કરતા હતા.

આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે જામનગર એસ.ટી. ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના ઈશારે પત્રકારનો અવાજ દબાવવાના પ્રયાસરૂપે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નં. 11202008261767 હેઠળ પાયાવિહોણી ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કાર્યવાહીને લઈને પત્રકારોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. પત્રકાર મંડળે માંગ કરી છે કે લોકપ્રશ્નો ઉઠાવનાર પત્રકાર વિરુદ્ધ નોંધાયેલી આ FIR તાત્કાલિક રદ કરવામાં આવે. સાથે જ પત્રકારત્વનો અવાજ દબાવવાનો પ્રયાસ કરનાર એસ.ટી. વિભાગના સંબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તટસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.ભવિષ્યમાં કોઈ જાગૃત નાગરિક કે પત્રકાર સામે આવી રીતે ખોટી કાર્યવાહી ન થાય તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે. આવેદનપત્રની એક નકલ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને પણ યોગ્ય કાર્યવાહી માટે પાઠવવામાં આવી છે. સમગ્ર મામલે ત્વરિત અને ન્યાયી કાર્યવાહી કરવા જામનગર પત્રકાર મંડળે આગ્રહપૂર્વક માંગ કરી છે.