0
716

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • મંગેતરના કુટુંબિક કાકા સામે સગીરાને ભગાડી જવા અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપી ની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, મે ૨૬ જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવાતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને સગીરાનું તાજેતરમાં જ સગપણ થયેલું હોવા છતાં તેના મંગેતરના કુટુંબિક કાકા દ્વારા જ સગીરાને ભગાડી જવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સગીરાનું થોડા સમય પહેલાં એક યુવક સાથે સગપણ થયું હતું. ત્યારબાદ મંગેતરના કુટુંબિક કાકા તરીકે ઓળખાતા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના આશરે બાવીસથી ત્રેવીસ વર્ષીય યુવાન સાથે સગીરા મોબાઈલ ફોન તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા સામાજિક માધ્યમો દ્વારા સંપર્કમાં આવી હતી.પરિવારજનોના જણાવ્યા મુજબ પાંચ દિવસ પહેલાં સગીરા અચાનક ઘરેથી લાપતા બની ગઈ હતી. આસપાસ શોધખોળ હાથ ધર્યા છતાં કોઈ પત્તો ન મળતા આખરે મંગેતરના કુટુંબિક કાકા દ્વારા જ સગીરાને ભગાડી જવામાં આવી હોવાની શંકા સાથે સિટી “સી” ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મોબાઈલ ફોનની વિગતો, સામાજિક માધ્યમો પરના સંપર્કો તેમજ સંભવિત સ્થળોના આધારે પોલીસ ટીમો તપાસમાં લાગી હોવાનું જાણવા મળે છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી યુવાન સગીરાને જામનગરમાંથી લઈ ગયો હોવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.