જામનગરમાં જામીનનો ભંગ પડ્યો ભારે : ગુનાહિત ઇતિહાસવાળી ત્રિપુટી ફરી જેલભેગી

0
198291

જામનગરમાં જામીનની શરતોનો ભંગ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા – સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી

દેશ દેવી ન્યુઝ જામનગર, ૨૩ એપ્રિલ ૨૦૨૬ જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત જામીન પર મુક્ત થયા બાદ શરતોનો ભંગ કરી ફરી ગુનો આચરનાર ત્રણ આરોપીઓને સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યા છે.સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(2), 117(2), 190, 191(2), 191(3), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ નોંધાયેલા ગુનામાં આરોપીઓ જામીન પર છૂટ્યા હતા. પરંતુ જામીનની શરતોનો ભંગ કરી તેઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી.પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય, રાજકોટ વિભાગના માર્ગદર્શન તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના સુચન મુજબ રીઢા ગુનેગારો સામે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે.સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા તથા પો.સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રામાનુજના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી.

શું બન્યું હતું?  

તપાસમાં બહાર આવ્યું કે આરોપી હાર્દિક ઉર્ફે પાણી રાજેશભાઈ મકવાણા, ભાવીન રોહિતભાઈ પટણી અને રાહુલ અશોકભાઈ રાઠોડે જામીનની શરતોનો ભંગ કરી તા. 25/02/2026ના રોજ ભોલેનાથ ડિસગોલા પાસે તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ફરિયાદીને ધમકી આપી અપશબ્દો બોલ્યા હતા. આ મામલે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવો ગુનો નોંધાતા કોર્ટે ત્રણેયના જામીન રદ કરી કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો.

કોર્ટના હુકમને પગલે સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઈ. રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજાએ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા. હાલ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

  • હાર્દિક ઉર્ફે પાણી રાજેશભાઈ મકવાણા: ચોરી, મારામારી, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું અને પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.  
  • ભાવીન રોહિતભાઈ પટણી : હત્યા, મારામારી તથા ગેંગ સાથેના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે.  
  • રાહુલ અશોકભાઈ રાઠોડ: અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓના કેસ નોંધાયેલા છે.  

ત્રણેય આરોપીઓ વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે કુખ્યાત છે.જામનગર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.