જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના યુવાનની અનૈતિક સંબંધો ના કારણે હત્યા નીપજાવાતાં ભારે ચકચાર
-
પોલીસે મૃતક યુવાનના ભાણેજ ની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યા અંગે ગુનો નોંધ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, જૂન ૨૫ જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના એક યુવાનની ધોળે દહાડે હત્યા નીપજાવાઇ હતી, જે હત્યાના બનાવ અંગે પોલીસે નજીકમાં જ રહેતા બે શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને બંને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા મિલન હેમતભાઈ પરમાર નામના ૪૩ વર્ષ યુવાન પર બપોરે બારેક વાગ્યાના અરસામાં કોઈ શખ્સ દ્વારા તિક્ષણ હથિયાર ના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવાઈ હતી.જે અંગેની જાણકારી મળતાં પરિવારજનોમાં ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. સૌપ્રથમ ૧૦૮ ની ટીમને બોલાવાઇ હતી, અને તેઓએ ઇજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો, અને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી.
જેથી શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ . એન. ઝાલા, સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી. પી. ઝા, તેમજ સ્ટાફના મુકેશ સિંહ રાણા, સલીમભાઈ વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાનના ભાણેજ યસ ગોહિલે જણાવ્યું હતું કે નજીકના વિસ્તારમાં જ રહેતા મયુર ગોહિલ અને તેની સાથેના સંજય નામના એક સાગરીતે આવીને મૃતક મિલન પરમાર પર હુમલો કરી દીધો હતો, અને હત્યા નીપજાવી છે.
પોલીસની વિશેષ પુછપુરછમાં જણાવ્યા અનુસાર મૃતક યુવાન કે જેની પત્ની દક્ષા કે જેને છૂટાછેડા આપી દીધા હતા, અને આરોપી મયુર ગોહિલ સાથે છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી. ત્યારથી મૃતક યુવાન અને મયુર ગોહિલ સાથે તકરાર ચાલતી હતી. આજે સવારે મૃતક યુવાને પોતાની પૂર્વ પત્ની સાથે વાતચીત કરી હોવાથી આરોપીને પસન્દ ન હતું, અને તિક્ષણ હથિયાર સાથે પોતાના સાગરીતને લઈને મૃતક ને ઘેર ધસી આવ્યો હતો, અને હુમલો કરી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે યશ હસમુખ ગોહિલ ની ફરિયાદ ના આધારે આરોપી મયુર ગોહેલ અને સંજય સામે હત્યા અંગેની જુદી જુદી કલમ હેઠળ અપરાધ નોંધ્યો છે, અને બંને આરોપીઓ હાલ ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.


