જામનગર શહેરના વિવિધ પ્રોજેક્ટ વર્કનું સ્થળ નિરીક્ષણ કરતા કમિશ્નર ડી. એન મોદી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩,એપ્રિલ ર૬ જામનગર શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા કમિશ્નર ડી. એન. મોદીએ સ્થળ મુલાકાત લીધી હતી. શહેરના રોડ વર્ક, બ્રિજ વર્ક તેમજ સિટી બ્યુટિફિકેશન સંબંધિત કામોનું નવીનીકરણ અને મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેમજ તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.કમિશ્નર દ્વારા ખાસ કરીને ડામર અને સિમેન્ટ રોડ, બ્રિજ વર્ક, ફાયર સ્ટેશન તેમજ રણમલ લેક પાર્ટ-૨ ડેવલપમેન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને તમામ કામોમાં ટેન્ડર મુજબની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ નિરીક્ષણ દરમિયાન નાયબ કમિશ્નર દેવન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશભાઈ. એન. જાની તથા લગત વિભાગના નાયબ ઈજનેરોની ટીમ પણ હાજર રહી હતી.ટીમ દ્વારા ખંભાળીયા રોડના સિક્સ લેન વાઇડનિંગ કામ, રેલવે ઓવર બ્રિજ (એલ.સી. નં. ૨૦૧), સમર્પણ સર્કલ, લાલપુર બાયપાસ જંક્શન, ઠેબા બાયપાસ જંક્શન ખાતે ફ્લાયઓવર બ્રિજ, કાલાવડ નાકા પાસે રંગમતી નદી પર રિવર બ્રિજ, નાઘેડી રોડ, લાલપુર રોડ અને કાલાવડ રોડ પર આવેલા ફાયર સ્ટેશનો સહિત વિવિધ મુખ્ય માર્ગોના સિમેન્ટ કોન્ક્રીટ રોડ તથા અન્ય વિકાસ કાર્યોની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.
કમિશ્નરશ્રીએ તમામ પ્રોજેક્ટ વર્ક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ ગુણવત્તા અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે કડક સૂચનાઓ આપી હતી. શહેરના તમામ રોડ રીપેરિંગ અને મરામતના કામો ઝડપી ગતિએ પૂર્ણ કરવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.


