અનાજ, કઠોળ પર 5% જીએસટીના નિર્ણય સામે હાલારના વેપારીઓમાં રોષ: બંધ પાળી વિરોધ નોંધાવ્યો

0
982

અનાજ, કઠોળ પર 5% જીએસટીના નિર્ણય સામે હાલારના વેપારીઓમાં રોષ: બંધ પાળી વિરોધ નોંધાવ્યો

જામનગર વેપારી મહામંડળે ભારત બંધ એલાનને ટેકો આપ્યો

સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.નો ઓલ ઇન્ડીયા અનાજ મંડળને ટેકો.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસોની હરાજી બંધદેશ દેવી ન્યુઝ જામનગર: ૧૬ જુલાઈ ૨૨ કેન્દ્ર સરકારે છૂટક અનાજ પર 5 ટકા જીએસટી લાગુ કરતા વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેના વિરોધમાં ઓલ ઇન્ડિયા અનાજ મંડળે આજ શનિવારે વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે જામનગર સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનની બેઠક મળી હતી અને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.આજે ગ્રેઇન માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

તદઉપરાંત છૂટક કરિયાણાના વેપારીઓ પણ બંધમાં જોડાશે. જામનગરમાં માર્કેટીંગ યાર્ડમાં અનાજ કઠોળ પર જીએસટીના વિરોધમાં શનિવારે હરાજી બંધ રહેશે. યાર્ડના વેપારી એસોસીએશને સરકારના અનાજ-કઠોળ ઉપર જીએસટી લાગુ કરવાના વિરોધમાં યાર્ડમાં ખરીદ-વેચાણ શનિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આથી યાર્ડમાં તમામ હરાજી બંધ રહેશે. તદઉપરાંત રવિવારના સાંજે 7 વાગ્યા સુધી તમામ જણસની આવક પણ બંધ રાખવામાં આવી છે તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.ખંભાળિયામાં જુદા જુદા વેપારી મંડળો દ્વારા બંધ

ગુજરાત રાજયમાં અનાજ ઉપર આજથી પાંચ ટકાનું જી.એસ.ટી. દાખલ કરવાના વિરોધમાં ગુજરાતના વિરોધમાં ખંભાળિયા પણ જોડાયું છે. ગ્રેઇન મર્ચન્ટ રીટેલના પ્રમુખ જગુભાઇ રાયચુરાએ જણાવેલ કે પાંચ ટકા જી.એસ.ટી. અનાજ તથા અન્ય વસ્તુઓ પર નાખવાના વિરોધમાં આજે ખંભાળિયા શહેરનાં ચાર વેપારી મંડળો, ગ્રેઇન રીટેલ તથા કીરાણા મર્ચન્ટ ગ્રેઇન મર્ચન્ટ હોલસેલ, કેરલકૂક મર્ચન્ટ તથા એફ.એમ.સી. એસોસીએેશન તથા ખંભાળિયા માર્કેટીગ યાર્ડના તમામ દલાલો વેપારી કમીશન એજન્ટોએ પણ બંધ પાળીને આ અનાજ પર જીએસટીનો વિરોધ દર્શાવ્યો છે.

વેપારીઓના વિરોધને કોંગ્રેસનું સમર્થન

કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કઠોળ અને ડેરી પ્રોડકટ ઉપર પાંચ ટકા જીએસટી લગાડવાથી દેશના મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકારે જીએસટીની આવક વધારવા માટે રોજીંદા વપરાશમાં આવતા છાશ-દહીં, લસ્સી, પનીર, ગોળ, ખાંડ વગેરે ઉપર પાંચ ટકા જીએસટી લગાડવાથી મોંઘવારીનો માર સહન કરતી દેશની ગરીબ અને મધ્યમ વર્ગને પડતા ઉપર પાટુ મારવા બરોબર છે. જ્યારે બીજું બાજુ ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટીને ડોલરની સામે 80 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. ત્યારે વધતો ફુગાવો વધતી વેપાર ખાદ્ય ડોલર સામે રૂપિયાનું સતત ઘટતું મૂલ્ય, આયાતમાં વધારા સહિતના પરિબળો દેશના અર્થતંત્ર માટે નિરાશાજનક છે. ત્યારે કોંગ્રેસ ઉપરોકત ભાવ વધારાનો સખ્ત વિરોધ કરે છે અને આગામી દિવસોમાં આ ભાવ વધારા અને મોંઘવારી વિરૂઘ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી ભરતભાઈ વાળા દ્વારા જણાવાયું હતું.