જામનગરના યોગેશ્વરનગરમાં પાણીની પાઇપ લાઇનના વિવાદમાં પડોશીઓ વચ્ચે મારામારી

0
114679

જામનગરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં પાણી ની પાઇપ લાઇનના વિવાદમાં પડોશીઓ વચ્ચે મારામારી, ત્રણ સામે ગુનો નોંધાયો

  • યોગેશ્વરનગર-૨માં પાણીની લાઇન માટે ખાડો ખોદવાની બાબતે તકરાર ઉગ્ર બની; લોખંડની સળીયા અને લાકડીથી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯, જુલાઈ ૨૬ જામનગરના યોગેશ્વરનગર-૨, શેરી નં. ૪ વિસ્તારમાં પાણીની લાઇન નાખવા માટે ખાડો ખોદવાની બાબતે થયેલી તકરાર મારામારીમાં પરિણમી હતી. આ અંગે *કિશોરસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ. ૨૯)એ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પાણીની લાઇન માટે ખાડો ખોદવામાં આવતા તેનો ખાર રાખીને પડોશમાં રહેતા અજયભાઈ ઉર્ફે અજલો બાવો, હિતેશ અજયભાઈ તથા અજયભાઈના ભાભીએ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો.આરોપ છે કે હિતેશ અજયભાઈએ લોખંડની સળીયા વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી, જ્યારે અજયભાઈ ઉર્ફે અજલો બાવોએ ઢીકાપાટુનો માર માર્યો અને અજયભાઈના ભાભીએ લાકડી વડે શરીરે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ફરિયાદી કિશોરસિંહ જાડેજા ની ફરિયાદ ના આધારે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.