જામનગર ના પ્રણામીનગર પાસે નદી કાંઠેથી અજ્ઞાત યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતાં ચકચાર

0
173069

જામનગરમાં રણજીતસાગર રોડ પર પ્રણામીનગર પાસે નદી કાંઠેથી અજ્ઞાત યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતાં ચકચાર :હત્યાની આશંકા

  • શહેર વિભાગના ડી.વાય.એસ.પી. ની આગેવાનીમાં સિટી એ. ડિવિઝન અને એલ.સી.બી. નો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો: તપાસનો ધમધમાટ

  • મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો: એક એકટીવા પણ નદીના પાણીમાં ખૂંચેલી અવસ્થામાં મળી આવ્યું

  • મૃતકની ઓળખ કરવા માટે કાર્યવાહી : નેપાળી યુવાન હોવાનું અનુમાન: એકટીવા ના નંબર ના આધારે તપાસ આગળ ધપાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, એપ્રિલ ૨૬ જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી નગર પાસે આવેલી એક નદીના કાંઠેથી આજે વહેલી સવારે ૨૫ થી ૩૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો લોહીથી ખરડાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે, અને પોલીસે આ બનાવ અંગે હત્યાની આશંકા સેવી છે.જામનગર શહેર વિભાગના ડીવાયએસપીજે.એન. ઝાલા ઉપરાંત સિટી એ. ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા અને તેઓની ટીમ તથા એલ.સી.બી.ની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.મૃતક યુવાનની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની અને તેને માથાના ભાગે અને પગના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, અને લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નેપાળી હોવાનું અનુમાન લગાવાયું છે, અને કોઈ વ્યક્તિએ માથામાં બોથડ પદાર્થ ઝીકીને તેનું મૃત્યુ નિપાજાવી ચાલ્યો ગયો હોવાનું અનુમાન લગાવીને આ બનાવમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે.બનાવના સ્થળ થી થોડે દુરથી જી.જે. ૧૧ બી.એફ. ૬૧૪૩ નંબરનું એકટીવા પણ થોડે દૂર પાણીમાં ખુંપેલું અને આડુ પડેલું મળી આવ્યું હતું, તેથી પોલીસ દ્વારા તે એકટીવા ના રજીસ્ટ્રેશન નંબર ના આધારે પણ આ બનાવ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આસપાસના વિસ્તારમાં કોઈ નેપાળી યુવાન ગુમ થયો હોય અથવા તો તે અંગેની જાણકારી મેળવવા માટે પોલીસની ટુકડી આસપાસના વિસ્તારમાં ઘુમી રહી છે. પોલીસે હાલ મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જેના રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે.