વ્યાજખોરોની દાદાગીરી : 3 લાખ સામે 14 લાખ વસૂલ્યા છતાં 9 લાખની ધાકધમકી, કોર્ટે આરોપીઓને આપ્યા જામીન

0
70511

જામજોધપુર : વ્યાજખોરોની દાદાગીરી: 3 લાખ સામે 14 લાખ વસૂલ્યા છતાં 9 લાખની ધાકધમકી, કોર્ટે આરોપીઓને આપ્યા જામીન

  • જામજોધપુરમાં 30% સાપ્તાહિક વ્યાજ વસૂલી કોરા ચેક પડાવ્યાનો આરોપ , પટેલ યુવકને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ

  • કાયદાકીય દાવપેચ જીત્યો:  ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની દલીલો ગ્રાહ્ય, આરોપી જામીન મુક્ત

  • ઉછીના પૈસા ડૂબાવવા કાવતરું? હાથ ઉછીના પૈસા ન આપવા પડે એટલે ખોટો કેસ :-  ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ એપ્રિલ ૨૬ : જામજોધપુરમાં વ્યાજખોરીનો ચકચારી કેસ સામે આવ્યો છે. 3 લાખ રૂપિયાના બદલામાં 14 લાખ રૂપિયા વ્યાજ સહિત વસૂલ કર્યા બાદ પણ વધુ 9 લાખની ઉઘરાણી માટે ધાકધમકી આપવા મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં નામદાર સેશન્સ કોર્ટે બંને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, જામજોધપુરમાં વસવાટ કરતા નીકુંજભાઈ જેન્તીભાઈ ગોરને વર્ષ 2021માં આર્થિક સંકડામણ થતાં પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં માસિક 30% વ્યાજ નિયમિત ચૂકવતા હતા. ત્યારબાદ પ્રતિપાલસિંહ જાડેજાએ ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજા સાથે ભાગીદારીમાં ફાયનાન્સ ઓફિસ ખોલી ફરિયાદીને માસિકના બદલે સાપ્તાહિક 30% વ્યાજ ચૂકવવા અથવા વ્યાજ સહિત ત્વરિત નાણાં ચૂકવવા દબાણ કર્યું હતું.ફરિયાદ મુજબ, નીકુંજભાઈએ સાપ્તાહિક 30% વ્યાજ સ્વીકારી નિયમિત ચૂકવણી કરી હતી. પરંતુ વ્યાજ પહોંચી ન શકતા તેમણે આરોપીઓને જણાવ્યું કે, 3 લાખની સામે વ્યાજ સહિત 14 લાખ ચૂકવી દીધા છે. ત્યારે આરોપીઓએ ધાકધમકી આપી ફરિયાદી પાસેથી કોરા ચેકો પડાવી લીધા હતા. ફરિયાદમાં વધુ આરોપ છે કે, આરોપીઓ નીકુંજભાઈના ઘરે, ધંધાના સ્થળે અને રસ્તામાં રોકીને અપમાનિત કરી ગાળાગાળી કરતા હતા. વધુ 9 લાખ આપવામાં આવશે તો જ ચેક પાછા મળશે, નહીં તો કોરા ચેકમાં મોટી રકમ ભરી કેસ કરવાની અને *પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ* આપતા હતા.

આ મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સરકાર પક્ષે દલીલ કરાઈ કે આરોપીઓ પાસે ફાયનાન્સનું કોઈ લાયસન્સ નથી છતાં 30% સાપ્તાહિક વ્યાજ વસૂલે છે. 3 લાખના 14 લાખ વસૂલ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. સરકાર વ્યાજખોરોની પ્રવૃત્તિ ડામવા સક્રિય છે, તો આવા આરોપીઓને જામીન આપવા યોગ્ય નથી.

સામે બચાવ પક્ષે એડવોકેટ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તથા કરલ કે. પટેલ  દ્વારા દલીલ કરાઈ કે, ફરિયાદીએ હાથ ઉછીની રકમ લીધાનું સ્વીકાર્યું છે. રકમ પરત ન ચૂકવવી પડે તે આશયથી ખોટી ફરિયાદ કરી છે. કેસમાં કોઈ પુરાવો રજૂ થયો નથી કે ફરિયાદીએ 14 લાખ ચૂકવ્યા છે. પુરાવાના અભાવે જામીન આપવા જોઈએ, તે બંધારણીય અધિકાર છે.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર સેશન્સ કોર્ટે આરોપી પક્ષની રજૂઆતો ધ્યાને લઈ પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા અને ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજાને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરલ કે. પટેલ રોકાયેલા હતા.