જામનગર મહાનગર પાલિકાને “પીએમ સ્વનિધિ યોજના” માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ એનાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮,જાન્યુઆરી ૨૬ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી “પીએમ સ્વનિધિ યોજના” ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ ની કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલ આ ગૌરવવંતા કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ) મુકેશ વરણવા એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત જામનગરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડવા અને તેમના આર્થિક ઉત્થાન માટે જામનગર મહાનગરપાલિકાએ સરાહનીય કામગીરી કરી છે, જેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.


