જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્સ યોજાઈ
-
જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટસમાં તમામ પોલીસ અધિકારી અને જવાનોની પોલીસ પરેડ યોજાઇ
દેશ દેવી ન્યુઝજામનગર તા ૨ડિસેમ્બર ર૫, જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને આજે રાજકોટ ના આઈ.જી.પી અશોકકુમાર યાદવ નું આગમન થયું હતું, સૌપ્રથમ તેઓને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું, અને તેઓની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટરમાં સમગ્ર પોલીસ વિભાગની પરેડ યોજાઇ હતી, જેમાં આઈ.જી. દ્વારા સલામી જીલવામાં આવી હતી. જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટરમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની સતર્કતા ચકાસવાના અનુસંધાને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ ના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની ઉપસ્થિતિમાં સમગ્ર જામનગર જિલ્લા ની જનતાની સુરક્ષા માટે અધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને, આઈ.જી. અશોક કુમાર યાદવ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, જ્યારે કોઈ પણ બનાવ બનતાની સાથે જ ત્વરીત અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રજા શાંતિમય રીતે હરી-ફરી શકે તે માટે તમામ અધિકારીઓ અને સમગ્ર પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જામનગર જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન ના અનુસંધાને જિલ્લાના કાઇમ અંગેની કાર્યવાહી ના સંદર્ભમાં જામનગર જીલ્લામાં સને-૨૦૨૫ના વર્ષમાં શરીર સબંધી, મિલકત સબંધી ગુન્હામાં ગત વર્ષની સરખાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.તદઉપરાંત જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ જેમાં ખૂન, ખૂનની કોશિષ, શરીર સબંધી, રાયોટીંગના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને ત્વરીત શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ ખાસ નોંધ લેવાઈ છે, તેમજ જીલ્લામાં ગુન્હા આચરી ફરારી રહેલાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેની સમીક્ષા કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામા પ્રોહીબીશન, જુગાર ,આર્મ્સ એકટ, નાર્કોટીકસ હેઠળ નાગુના સંબંધે પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર જીલ્લામાં યુવાનો વ્યસનથી દૂર રહે, નશાની બદી સંપુર્ણ નેસ્તાનાબૂદ થાય, તે અંગે પરિણામલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર જીલ્લામાં સને-૨૦૨૫ ના વર્ષમાં પ્રોહીબીશન ધારા કેસ – ૯૧૦૩, જુગાર ધારા કેસ – ૭૭૬, નાર્કોટીકસ એક્ટ હેઠળ ૦૭ કેસ, આર્મ્સ એકટ ના ૧૦ કેસ, જી.પી.એકટ – ૧૩૫(૧) હથિયાર ધારા જાહેરનામા ભંગ કેસ ૮૫૯ કેસો શોધી કાઢી અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે મિલકત સબંધી ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સને-૨૦૨૫ ના વર્ષમાં જામનગર જીલ્લામાં ધાડ-લૂંટ, ઘરફોડ- ચોરીઓ આચરનાર ઇસમોની ગેંગ વિરૂધ્ધ – ૦૨ ગેંગ કેસો કરવામાં આવ્યા છે, જેના કારણે મિલકત સબંધી ગુન્હા અંકુશમાં આવ્યા છે.
આ ઉપરાંત મિલકત સબંધી ગુન્હા આચરનાર ઇસમો ઉપર ડી.જી.પી. ના “મેન્ટર પ્રોજેકટ અંતર્ગત દરેક ઇસમો ઉપર પોલીસ કર્મચારીની મેન્ટર તરીકે નિમણુક કરી દેખરેખ રાખવામાં આવે છે. તદઉપરાંત આ ઇસમોની પ્રવૃતિ ઉપર સતત મોનીટરીંગ રાખી, ફિઝીકલ ચેક કરવામાં આવી રહ્યા છે.જામનગર જિલ્લામાં વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે અને અટકાયતિ પગલાઓ લેવામાં આવ્યા છે, અને સુલેહ શાંતિ ભંગ કરનારા કુલ ૧૧,૨૯૧ વ્યક્તિ વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જયારે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા ના ભાગરૂપે કુલ ૬૬ વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરાઈ છે, જ્યારે હાથ પારીના ૭૦ કેસ કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન કુલ ૩૦ જેટલી ‘સી’ ટિમ કાર્યરત બનાવવામાં આવી હતી, અને ૭૫ જેટલી એન્ટી રોમીઓ ટિમ પણ બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હોમગાર્ડ તેમજ ગ્રામ્ય રક્ષક દળ મળીને કુલ ૮૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ના માધ્યમથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી, અને નવરાત્રીમાં નારીઓને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.જામનગર જિલ્લામાં કુલ છ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી, અને અવાવરું જગ્યાઓ વગેરે સ્થળે માઉન્ટેડ યુનિટ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત નેત્રમ કમાન કંટ્રોલના કાર્યરત સીસીટીવી યુનિટ દ્વારા પણ સતત મોનિટરિંગ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલા જનરક્ષક ૧૧૨ હેલ્પલાઇન તેમજ મહિલાઓની સુરક્ષાની જનજાગૃતિ માટે નવરાત્રી સહિતના સ્થળો ઉપર બેનર, સ્ટેન્ડી, સેલ્ફી પોઇન્ટ વગેરે રાખવામાં આવ્યા હતા, અને તે બાબતેના કેટલાક વિઝ્યુલ પણ પ્રજાજનોને દર્શાવીને નારી સુરક્ષા ના સંદર્ભમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સર્વે બાબતને નોંધ લેવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરેડ ઉપરાંત અશ્વના કરતબો અને સ્નિફર ડોગ ની એક્ટિવિટી રજુ કરવામાં આવી હતી. અને તેનું પણ આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
જામનગર જિલ્લાના પોલીસ તંત્રની ફિઝિકલ ફિટનેશ ની ચકાસણીના ભાગરૂપે પણ મોકડ્રીલ સહિતના આયોજન થયા હતા, અને આતંકવાદી હુમલો થાય તો તે પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચવું, તે સંદર્ભમાં તમામ પ્રકારની એક્ટિવિટી સમગ્ર જિલ્લાભરના પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરી લેવામાં આવી હતી, અને આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની પ્રજાને પૂરતી સુરક્ષા મળી રહે, ઉપરાંત સાયબર ફ્રોડના ગુનાઓ અંકુશમાં રહે, અને લોકો સાઇબર ટોળકી થી સાવચેત રહે, તે સંદર્ભમાં અનેક પ્રવૃત્તિઓ સાઇબર સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જે અંગે પણ અસરકારક કામગીરીની નોંધ લેવામાં આવી હતી.
ઉપરાંત દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે એલસીબી અને એસ.ઓ.જી. વિભાગ ની પોલીસ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તમામ લેન્ડિંગ પોઇન્ટ પર ચેકિંગ જ્યારે દરિયાકાંઠા વિસ્તારના લોકોને લોકજાગૃતિના સંદર્ભમાં સેમિનાર યોજવા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે તમામ પ્રવૃત્તિનોનું વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.


