જામનગર શહેરમાંથી બે પાડા ને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ બચાવ્યા
-
પોલીસે બે કસાઈ શખ્સો સામે ગુનો નોંધી રીક્ષા કબજે કરી પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા
-
આરોપી : -(૧) રફીક રજાકભાઇ અઘવાન જાતે-પટણી ઉ.વ.૨૫ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-પટણીવાળ પુરબીયા ખડકીની બહાર ઘનબાઇ મસ્જીદની બાજુમા જામનગર (૨) હુશેનભાઇ જાનીભાઇ બાબી જાતે-કસાઇ ઉ.વ.૩૨ ધંધો-કસાઇ કામ રહે-કાલાવડનાકા બહાર કસાઇ વાડો ચકલો વિસ્તાર પાંચ હાટડી જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર શહેરમાંથી બે અબોલ જીવોને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં જીવ દયા પ્રેમીઓએ પીછો કરીને રિક્ષામાં લઈ જવાતા બે પશુઓને બચાવી લીધા છે, અને પોલીસને સુપ્રત કર્યા છે. પોલીસે બંને કસાઈ શખ્સોની અટકાયત કરી લઈ પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જનતા ફાટક પાસે રહેતા અને વીમા પોલિસીનું કામ કરતા જીવ દયા પ્રેમી યુવાન પરેશ મોહનભાઈ સાવલિયા ને જાણકારી મળી હતી કે એરફોર્સ ના ગેઇટ પાસે એક રિક્ષામાં બે પશુ (પાડા) ને ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે, જેથી તે રીક્ષા નો પીછો કરીને અટકાવ્યા હતા, અને તુરંત પોલીસને બોલાવીને સુપ્રત કરી દીધા હતા.
પોલીસે એક રીક્ષા કબજે કરી લઇ અંદર રહેલા બે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે, જ્યારે રીક્ષા ની અંદર બેઠેલા રફીક રજાકભાઈ પટણી અને હુસેન જાનીભાઈ કસાઈ નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ સામે પશુ પ્રત્યે ઘાતકી પણું પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૦ ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


