જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા
-
પુરપાટ ઝડપે આવી રહેલા સ્કોર્પીયોના ચાલકે ડબલ સવારી એક્ટિવા ને હડફેટમાં લીધા બાદ એક મકાન ની દીવાલ માં ઘૂસ્યો
-
સ્કોર્પિયો ચાલક પીજીવીસીએલના એક થાંભલા ને પણ ઠોકર મારી દેતાં વિજ વાયર તૂટવાથી વીજ પુરવઠો ખોરવાયો: સ્કોર્પિયો ચાલક થયો પલાયન
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂન ૨૫, જામનગર શહેરમાં આજે પરોઢીયે ચાર વાગ્યે વધુ એક “હિટ એન્ડ રન” ની ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગુરૂદ્વારા ચોકડી નજીક બ્લેક કલર ની સ્કોર્પીયો કાર ના ચાલકે ઓવર સ્પીડ માં આવી ને એક એક્ટિવા સવાર બે તબીબી વિધાર્થીઓને ઠોકર મારી દીધા બાદ એક મકાન ની દીવાલ તોડી નાખી હતી.સ્કોર્પિયો ની ઠોકર વાગવાથી એકટીવા ના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો, જ્યારે તેમાં બેઠેલા બે તબીબી વિદ્યાર્થીઓ કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નાઈટની ફરજ માં હતા, અને જામનગરના એસટી ડેપો પાસે નાસ્તો કરવા માટે ગયા હતા, અને ત્યાંથી જી.જી. હોસ્પિટલ તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.
જેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તાત્કાલિક અસરથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓને પગની ઢાંકણી સહિતમાં ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્કોર્પિયો નો ચાલક એકટીવા ને ઠોકર માર્યા બાદ ગુરુદ્વારા ચોકડી પાસે આવેલા ખુશ્બુવાડી નામના બંગલાની દિવાલ સાથે ટકરાઈ ગયો હતો. જેથી બંગલાની દીવાલને નુકસાન થયું છે.
ઉપરાંત ત્યાં જ આવેલો એક પી.જી.વી.સી.એલ. નો વીજ થાંભલો કે જેને પણ સ્કોર્પિયો ની ઠોકર વાગી હોવાથી થાંભલો બેવડો વળી ગયો હતો, અને વીજવાયર તૂટ્યા હોવાથી આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જે બનાવની જાણ થતાં સૌપ્રથમ સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન સ્કોર્પિયો નો ચાલક તેમાંથી ઉતરીને રફુચક્કર થઈ ગયો હતો. આથી પોલીસે સ્કોર્પિયો ટોઇંગ કરી લઈ પોલીસ મથકે લઈ જવાયો છે, જ્યારે ઇજાગ્રસ્ત તબીબી વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સાથો સાથ પીજીવીસીએલ ની ટીમને પણ જાણ થઈ હોવાથી તેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને વીજવાયરો વગેરેની સમારકામની કાર્યવાહી હાથ ધરી લઈ, વીજ પુરવઠો પૂર્વત બનાવ્યો હતો. પોલીસ દ્વારા સ્કોર્પિયો ના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ ચલાવાઇ રહી છે. જે બનાવ સમયે વાહન ચાલક નશાયુક્ત હોવાનું પણ બનાવના સમયે પસાર થનાર વ્યક્તિનું કહેવું છે. જે સમગ્ર બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.