હાલાર ની આન-બાન અને શાન એટલે જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવાર ને આલેલો ચાંદી નો તાજીયો
-
આશરે ૧૯૦ કિલો ચાંદી થી તૈયાર કરાયેલા વિશ્વ પ્રસિદ્ધ ચાંદીના તાજીયામાં માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે તેવી માનતા રખાય છે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જૂન ૨૫, ઇસ્લામી વર્ષ નો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે.મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ, મોહરમ આવે એટલે તાજીયાનો તહેવાર આવી રહ્યો છે. તાજીયા ની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે. જયારે મોહરમ એ ‘હઝરત ઇમામ હસન’ અને ‘હઝરત ઇમામ હુસેન અલવ્હિસ્સલામ’ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’ નો તહેવાર છે.
મોહરમ ઇસ્લામી વર્ષ નો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબ થી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. જામનગર શહેર માં પરવાનાવાળા તાજીયા કુલ ૨૯ છે, અને ખાસ કરીને જામનગરમાં ચાંદીનો તાજિયો સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા ને જોવા માટે વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાને ૧ નંબરનો પરવાનો આપેલો છે અને ચાંદી તાજિયાનો જાણવા જેવો ઇતિહાસ પણ છે.
આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આપ્યો છે. એવુ કહેવાય છે કે, જામરાજવી ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી, જે પુર્ણ થતાં તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો. આ ચાંદીના તાજીયાનું વજન ૧૯૦ કિલો છે. મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના લોકો ઉમટી પડે છે.
આ ચાંદીના તાજિયા પાછળ અનેક વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોડખાપણ પણ દૂર થાય છે.મોહરમના દિવસે જામનગરમાં લાખોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા સહિતના નાના-મોટા અનેક તાજીયા પડ માં આવે છે. જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ સહીત દૂર-દૂર થી લોકો આવે છે.


