જામનગરના શિવનગર પાણાખાણ વિસ્તારનો પોકાર : અમને વીજળી આપો– વીજળી આપો : વિજ ધાંધીયા બંધ કરો-બંધ કરો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જૂન ૨૫, જામનગરના શિવનગર પાણાખાણ વિસ્તારમાં વારંવાર થતી વીજ વિક્ષેપની સમસ્યા ને કારણે સ્થાનિક રહેવાસીઓ કંટાળ્યા છે, અને આખરે રેલીના સ્વરૂપમાં સુત્રોચાર કરીને પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા, અને અમને વીજળી આપો, વીજળી આપો, વીજ ધાંધીયા બંધ કરો, બંધ કરો ના સૂત્રો સાથે સ્થાનિક રહેવાસીઓ એ વિજ કચેરીએ પોતાની સમસ્યા અંગેની દ્વિતીય અરજી કરી છે.
જામનગરના ઉદ્યોગ નગર નજીકના શિવનગર પાણાખાણ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અનેક તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા ને લઈ અગાઉ પણ તા ૧૫-૦૫-૨૦૨૫ ના રોજ સ્થાનિક વિજ તંત્ર ની કચેરીએ અરજી આપેલી હતી. જેના પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી, હાલ ગરમીનું પ્રમાણ અત્યંત વધેલું છે. આવા સમયમાં વીજ વિક્ષેપ ના કારણે પંખા વગર જીવવું વૃદ્ધો અને નાના બાળકો માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે.
દરેક રહેવાસી તકલીક અનુભવી રહ્યો છે. ઘણી વાર વીજળી રાત્રિના સમયે બંધ થાય છે, જેના કારણે જીવજંતુનો ત્રાસ પણ સહન કરવો પડે છે. વીજ વિક્ષેપના કારણે ઘરેલું ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થવાની શક્યતાઓ વધી રહી છે. આજના ટેક્નોલોજી અને વિકાસના યુગમાં આવા વારંવાર વીજ વિક્ષેપ અસહય છે. અરજી માં જણાવ્યા મુજબ સ્થાનિકોએ ઘણી વાર ફોલ્ટ સેન્ટર નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી છે અને કેટલીક વાર વ્યક્તિગત રીતે પણ કચેરી ખાતે જઈને ફરિયાદ કરી છે અને લેખિત માં અરજી આપેલી છે. તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ઉપર જણાવેલ વિસ્તાર ના રહેવાસીઓએ આ લેખિત ફરિયાદ ફરીથી રજૂ કરી છે. કારણ કે પહેલાંની વારંવારની ફરિયાદો અને લેખિત અરજી આપવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
તેથી તમામ સ્થાનિક રહેવાસીઓ રેલીના સ્વરૂપમાં સૂત્રોચાર કરીને સ્થાનિક વિજ કચેરીએ પહોંચ્યા છે, અને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ની માંગણી કરવામાં આવી છે. જો આ અંગે ત્વરિત નિર્ણય કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.