જામનગરમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવને લઈ પુરવઠાની ચાપતી નજર

0
2

જામનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અને પુરવઠા પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

  • આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ ન કરી તંત્રને સહયોગ આપવા તેમજ અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કરની નાગરિકોને અપીલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ મે ૨૫, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારશ્રીના દિશાનિર્દેશોને પગલે જામનગર જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તેમજ ભાવ નિયંત્રણમાં રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ દરરોજ કરવામાં આવે છે.આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રીટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલ તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.ઉક્ત સમગ્ર બાબતો ધ્યાને લઈને જામનગર જિલ્લાના તમામ નાગરિકો કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં તેમજ સામાન્ય નાગરિકોમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અંગે કોઇ પણ વ્યક્તિ અફવા ન ફેલાવે અને સરકારશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે તેવો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.