જામનગરમાં સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે મનપાના તંત્ર ની મેગા ડીમોલિશન ની કાર્યવાહી
-
કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા સ્થાનિકો દ્વારા વિરોધ કરાતાં ભારે ઘર્ષણ સાથે પોલીસ દ્વારા ૫ થી વધુ ની અટકાયત કરી લેવાઇ
-
૩૩૧ દબાણકારોને નોટિસ આપ્યા બાદ ૩.૫ કિ.મી ના વિસ્તારમાં ૪,૫૧,૮૫૪ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવા માટે તંત્રની મક્કમ કાર્યવાહી
-
૧૦ જેસીબી મશીન, ૧૦ ટ્રેક્ટર, ૨ હિટાચી મશીન, ૧૫૦ થી વધુ પાડતોડનો સ્ટાફ અને ફાયરની ચાર ટીમની મદદ લેવાઈ
-
મહિલા પોલીસ સહિત ૧૦૦ થી વધુ પોલીસની ટુકડી, મેડિકલ ની ૨ ટિમ, વિજ તંત્ર ની ૨ ટીમ, લાઇટ શાખા ની ૪ ટીમ ની પણ મદદમાં જોડાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧, મે ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો, અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂ કરી દેવાયું છે.
કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના નાગરિકો સાથે પ્રારંભમાં ભારે ઘર્ષણ થયા બાદ પોલીસ દ્વારા કોંગી કોર્પોરેટર સહિત પાંચ નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, અને ૩૩૧ જેટલી મિલકતો ના દબાણકારોને નોટિસ આપી દીધા બાદ આજે ડીમોલેશન કરી હાથ ધરી લેવામાં આવ્યું છે. જેમાં ૧૫૦ થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. ઉપરાંત ૧૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ નો મહિલા પોલીસ સહિતનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી ૩.૫ કી.મી નો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે. અને કુલ ૪૫,૨૮૪ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકા ૧૫૦ થી વધુ કર્મચારીઓનો જુદી જુદી ટીમનો કાફલો જોડાયો હતો.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા મહાનગરપાલિકાની અન્ય જુદી જુદી ટીમના અધિકારીઓ નો કાફલો વિશિષ્ટ પ્રકારના જેકેટ પહેરી ને વહેલી સવારથી મેદાનમાં ઉતર્યો હતો, અને મક્કમતાપૂર્વક ડીમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું છે.
પ્રારંભમાં સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા તેની સાથેના અન્ય રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો, અને આ મામલે હાઈકોર્ટ માં કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી રાહ જોવા માટે અપીલ કરી હતી. પરંતુ તંત્રએ મચક આપી ન હતી, અને ભારે દેકારો અને ઘર્ષણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત પાંચ સ્થાનિક નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, અને પોલીસ વેનમાં બેસાડી તમામને પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવાયા હતા, ત્યારબાદ ડિમોલેશન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હયું.
સમગ્ર કાર્યવાહીમાં ૧૦ જેસીબી મશીન, ૧૦ ટ્રેક્ટર, બે હિટાચી મશીન વગેરે નો ઉપયોગ કરીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ઉપરાંત ફાયર વિભાગની ચાર ટીમ, મેડિકલ વિભાગની બે ટીમ, લાઈટ શાખાની ચાર ટીમ, અને પીજીવીસીએલની પણ બે ટીમની મદદ લેવામાં આવી છે. અને સ્વામિનારાયણ નગર થી ડીમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું હયું.
ઉપરાંત નવાગામ ઘેડ સહિત અલગ અલગ વિસ્તારોમાં પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગત શનિવારે માર્કિંગ કરી લેવાયું હતું, તે પ્રમાણે પાડતોડ શરૂ કરી દેવાઇ છે.આ સમગ્ર કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટેલાં જોવા મળ્યા હતા, અને ભારે તંગ વાતાવરણ હતું. જેની વચ્ચે આ મેગા ડીમોલેશન ચાલુ રખાયું છે.