જામનગરનો ધુવાવ બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત , પેચવર્કની કામગીરી ટુક સમયમાં શરૂ થશે : સીટી એન્જિનિયર

0
1901

જામનગરનો ધુવાવ બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત ; ડામર પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે-સીટી એન્જિનિયર ભાવેશ જાની

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩ જુલાઈ, ૨૫ જામનગર શહેર નજીક આવેલા ધુવાવ ગામના બ્રિજની જર્જરિત હાલત અંગેના તાજેતરના અહેવાલોને પગલે જામનગર મહાનગર પાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે આ બ્રિજ હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે. વાહનવ્યવહાર માટે કોઈ જ મુશ્કેલી કે અવરોધ નથી.

મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારે વાહનોની સતત અવરજવર અને તાજેતરમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે બ્રિજના અમુક ભાગોમાં ડામરનું ધોવાણ થયું છે. આ ધોવાણ માત્ર સપાટી પરનું છે અને બ્રિજના મૂળભૂત માળખાને કોઈ નુકસાન થયું નથી. મહાનગરપાલિકાના અધિકારીઓએ ખાતરી આપી છે કે આ ડામરના ધોવાણના કારણે થયેલા ખાડાઓ ભરવા અને માર્ગને પુનઃ સમતલ કરવા માટે પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા બ્રિજની નિયમિત તપાસ કરવામાં આવે છે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી છે.