જામનગર : લાલપુરના નાંદુરી ગામે ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધને પતાવી દેવાયા

0
3413

જામનગર શહેર અને મુંગણી માં હત્યાની બે ઘટના બાદ લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં હત્યાની વધુ એક ઘટનાથી ભારે અરેરાટી

  • બાવળ નું ઝાડ કાપવા ના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા ૭૦ વર્ષના ખેડૂત પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ મે ૨૫, જામનગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના બન્યા બાદ ગઈકાલે લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.વાડીએ જવાના રસ્તે આવતા એક બાવળના ઝાડને કાપવાના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા ૭૦ વર્ષ ના ખેડૂત બુઝુર્ગ ઉપર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી દેવાયાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોધી એક ખેડૂતની અટકાયત કરી લીધી છે.જામનગર તાલુકાના મુંગણી ગામમાં પરમદીને હત્યા નો એક બનાવ બન્યા બાદ જામનગર ના ગુલાબ નગર બ્રિજ પર ચાલુ ટ્રેનમાંથી એક દિવ્યાંગ યુવકની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આજે વધુ એક હત્યા નો ગુનો સામે આવ્યો છે. લાલપુર તાલુકા ના નાંદુરી ગામના ૭૦ વર્ષની વયના ખેડૂત બુઝુર્ગ પર હુમલો કરી તેની હત્યા નિપજાવાઈ છે.નાંદુરી ગામમાં રહીને ખેતી કામ કરતા જેતાભાઈ ભીખાભાઇ કરંગીયા (ઉંમર વર્ષ ૭૦), કે જેઓને તે જ ગામમાં રહેતા ખીમાભાઈ લખમણભાઇ કરંગીયા કે જેઓએ સેઢાની વચ્ચે આવેલા સરકારી ખરામાં ઉગેલા એક બાવળના ઝાડને કાપવાના પ્રશ્ને આજથી બે દિવસ પહેલાં તકરાર કરી હતી. ત્યારબાદ ગઈકાલે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં ખીમાભાઈ કરંગીયા ઉસકેરાઈ ગયો હતો, અને ખેડૂત જેતાભાઈ કરંગીયા ના માથામાં ખેતીવાડીમાં નિંદામણ કરવાના કામ માટે ઉપયોગમાં લેવાતા ધારદાર સળિયા વડે હુમલો કરી દીધો હતો.જે હુમલામાં જેતાભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી લોહી નિતરતી હાલમાં ૧૦૮ મારફતે તેઓને સૌપ્રથમ લાલપુર ની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જેતાભાઈ નું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. જે હુમલા અને હત્યા ના બનાવ અંગે મૃતક જેતાભાઈના પુત્ર નગાભાઈ જેતાભાઈ કરંગીયાએ પોતાના પિતાની હત્યા નિપજાવવા અંગે શેઢા પાડોશી ખીમાભાઈ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે બી.એન.એસ. એક્ટ સને ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીને અટકાયતમાં લઈ લીધો છે.