જામનગર : લાલપુર પાસે ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

0
3129

લાલપુર નજીક સણોસરા ગામ પાસે ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર બોલેરો ચાલક સામે લાલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો: આરોપીની અટકાયત

  • કાકાને ટાયર બદલવા જેક પહોંચાડવા ગયેલો બત્રીજો અને તેનો મિત્ર અકસ્માતનો ભોગ બન્યા: જેક નાનો પડતાં જામજોધપુરનો પિતરાઈ ભાઈ પણ મોતના શરણે પહોંચ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭જાન્યુઆરી ૨૬, જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર સણોસરા ગામના પાટીયા પાસે પરમદીને મોડી રાત્રે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ત્રણ માનવ જિંદગી હોમાઈ હતી, જે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સામે ગુનો નોધ્યો છે, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે. કોલસો ભરીને આવી રહેલા બોલેરો ચાલક ના ટાયરમાં પંચર પડતાં તેણે પોતાના ભત્રીજા પાસે જેક મંગાવ્યો હતો, જે પોતાના મિત્ર સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ જેક નાનો પડતાં જામજોધપુર થી પિતરાઈ ભાઈને બીજા જેક સાથે બોલાવ્યો હતો, અને તમામ લોકો ટાયર બદલી રહ્યા હતા જે દરમિયાન અન્ય બોલેરો ચાલકે ત્રણને કચડી નાખ્યા હતા, અને એક હજુ સારવાર હેઠળ છે.આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉંમર વર્ષ ૩૬) પોતાના જી.જે. ૨૫ યૂ ૫૮૦૩ નંબરના બોલેરો પીકપ વેનમાં કોલસો ભરીને લાલપુર તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન સણોસરા પાસે પરમદીને રાત્રે પંચર પડતાં તેણે પોતાના ભત્રીજા શ્યામ તેમજ તેના મિત્ર શ્રુદીપ ગોજીયાને સૌપ્રથમ સ્થળ પર બોલાવ્યા હતા. જેઓ જેક લઈને આવ્યા હતા. પરંતુ તે જેક નાનો પડતાં તેઓએ જામજોધપુર પંથકમાં રહેતા પોતાના પિતરાઈ ભાઈ ભરત ડાંગર ને બીજા જેક સાથે બોલાવ્યો હતો, અને તમામ લોકો ટાયર બદલી રહ્યા હતા.જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. ૧૦ ડી.એ. ૨૨૮૭ નંબરના બોલેરોના અન્ય ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, જેમાં બોલેરો ચાલક કમલેશ નારણભાઈ (ઉંમર વર્ષ ૩૬) પિતરાઈ ભાઈ ભરત લક્ષ્મણભાઈ ડાંગર (ઉ. વર્ષ ૨૧) અને પોતાના ભત્રીજા સાથે આવેલા શ્રુદીપ હિતેશ ગોજીયા (૧૬) ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે ભત્રીજો શ્યામ અશોકભાઈ ગાગિયા ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હોવાથી જામનગરની જી જી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે.

આ અકસ્માતના બનાવવા અંગે મૃતક કમલેશ ના મોટાભાઈ કાનાભાઈ નારાયણભાઈએ લાલપુર પોલીસ મથકમાં બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતાં લાલપુરની પોલીસ ટીમેં ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ અકસ્માત સરનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે કરી લીધું છે જ્યારે રાજસ્થાનના વતની ભરતસિંહ ગિરધારીસિંહ શેખાવતની અટકાયત કરી લઈ તેને પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવ્યો છે.ત્રણેય મૃતકો ના લાલપુર ની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા હતા, અને મૃતદેહો તેમના સ્વજનોને સોંપી દેવાયા હતા, ત્યારે ભારે ગમગીની ફેલાઈ હતી. લાલપુરના ખાયડી ગામમાંથી મૃતકો ની અર્થી નીકળી, ત્યારે ગામમાં અશ્રુઓનો દરિયો છલકાયો હતો.