ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા શ્રમિક પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઇ
-
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ગભરાઈ ને ગાયબ થયેલી પત્નીએ પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપત્તિ વચ્ચેના ઝઘડા બાદ પતિએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધા બાદ ડગાઈ ગયેલી પત્ની એકાએક લાપતા બની ગઈ હતી, અને તેણીએ પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. જે બનાવને લઈને ભારે કરુણાતીકા સર્જાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા ખેડૂત લગધીરસિંહ જાડેજા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની એવા પર પ્રાંતિય શ્રમિક પરિવારના રાહલીબેન ગોરધનભાઈ વસુનીયા (ઉંમર વર્ષ ૧૯) અને તેના પતિ ગોરધનભાઈ વશુનીયા (ઉંમર વર્ષ ૨૨) કે જેઓ છેલ્લા કેટલાક સમયથી વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે.
દરમિયાન ગત ૩૦.૧૦.૨૦૨૫ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં શ્રમીક મહિલા રાહલીબેન અને તેના પતિ ગોરધનભાઈ જે બંને વચ્ચે કોઈ બાબતે બોલા ચાલી થઈ હતી , જેથી ગોરધનભાઈ ને મનમાં લાગી આવતાં તેણે મગફળીના ગોડાઉનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. રાહાલીબેનને જાણ થતાં તેણીએ ગોરધનભાઈ ને નીચે ઉતાર્યા હતા, પરંતુ પોતાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી પોતે ગભરાઈ ગઈ હતી, અને એકાએક ગાયબ થઈ ગઈ હતી જે બનાવ બાદ રાહલીબેન ના ભાઈ કે જેણે પોલીસને જાણ કરી હતી અને ધ્રોળ પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી હતી જેથી પોલીસ ટુકડી રાહલીબેન ને શોધી રહી હતી.
જે દરમિયાન વાડીના કુવા મા તેણીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. તેણીએ પણ આઘાત લાગ્યો હોવાથી વાડીના કૂવામાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવ મામલે રાહલીબેન ના ભાઈ ચીરલીયાભાઈ બામણીયા કે જેઓ ધ્રોલમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી ગામ કરે છે, તેઓ રોજિયા ગામે દોડી આવ્યા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરતાં આ બનાવ મામલે પી.એસ.આઇ. એચ.વી. રાઠોડ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સૌપ્રથમ ગોરધનભાઈ ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે,જ્યારે ગુમ થયેલી રાહાલીબેન ની શોધખોળ કરતાં કુવામાંથી તેનો મૃતદેહ તરતો મળી આવ્યો છે. જે કબજે કરી લઈ તેનું પણ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને બંને મૃતદેહોનો કબજો રાહલીબેન ના ભાઈ ને સોંપી દેવામાં આવ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવને લઈને ધ્રોળ પંથકમાં પણ પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.


