જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટર સહિત ૨૯ સામે ‘ગુજસીટોક’

0
394582

જામનગર શહેરમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે સપાટો બોલાવ્યો : પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગ પર ‘ગુજસીટોક’નો ગાળિયો કસાયો

  • અતિ સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં આતંક મચાવનાર બન્ને ગેંગના ૨૯ જેટલા માથાભારે શખ્સો સામે ઐતિહાસિક કાર્યવાહી

  • પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી સહિતના આરોપીઓ ની પોલીસ દ્વારા અટકાયત થી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ : અન્ય ને પકડવા દોડધામ..

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ એપ્રિલ ૨૬, ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ જામનગરમાં અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જામનગર શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ ના પટણીવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં બે જૂથો વચ્ચે થયેલી ભયાનક મારામારી અને જાહેરમાં ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા.આ ઘટનાના પડઘા છેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યા હતા, જેને પગલે એક્શન મોડમાં આવેલા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તાત્કાલિક જામનગર દોડી આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની મુલાકાતના ૧૦ દિવસના ટૂંકા ગાળામાં પોલીસે માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા માટે એક અત્યંત કડક અને આક્રમક રણનીતિ ઘડી કાઢી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે શહેરમાં કાયદાનું શાસન પુનઃ પ્રસ્થાપિત થતું જોવા મળી રહ્યું છે.

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાના ભાગરૂપે, પોલીસે શહેરની શાંતિ ડોહળતી બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ ( ગુજસીટોક) જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધીને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે.આ બે ગેંગમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળ ચાલતી ટોળકી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ બંને જૂથો લાંબા સમયથી પોતાના વિસ્તારમાં આતંક અને ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા બંને ગેંગના મળીને કુલ ૨૯ જેટલા શખ્સોને નિશાન બનાવીને તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એક ગ્રુપના ૧૮ અને બીજા ગ્રુપના ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એકસાથે આટલા મોટા પ્રમાણમાં આરોપીઓ સામે આ પ્રકારના આકરા કાયદાનો ઉપયોગ દર્શાવે છે કે પોલીસ હવે કોઈપણ ભોગે શહેરમાં ગેંગવોર કે આતંક સાંખી લેવાના મૂડમાં નથી.આ મેગા ઓપરેશનને પાર પાડવા માટે રેન્જ આઈ.જી.ની સીધી અને સ્પષ્ટ સૂચનાઓ બાદ જામનગર પોલીસે વહેલી સવારથી જ અત્યંત ગુપ્ત અને સુનિયોજિત રીતે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી સહિત કેટલાક શખ્સોની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી છે. બીજી તરફ, અન્ય માથાભારે અલ્તાફ ખફી અને તેના મુખ્ય સાગરીતો અગાઉના ગુનાઓમાં પહેલેથી જ જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે, ત્યારે પોલીસે તેમની સામે જેલમાંથી જ ગુજસીટોક હેઠળની કાયદાકીય કાર્યવાહીનો સકંજો કસવાનું શરૂ કરી દીધું છે, જેથી તેઓ લાંબા સમય સુધી કાયદાની ચુંગાલમાંથી બહાર ન આવી શકે.નોંધનીય છે કે, રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો મહત્વપૂર્ણ ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી સૌથી મોટી ગુજસીટોકની કાર્યવાહી છે, જ્યારે જામનગર જિલ્લામાં તેમના નેતૃત્વ હેઠળ લેવાયેલું આ પ્રથમ અને સૌથી આકરું પગલું છે.

પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા આ અત્યંત કડક અને દાખલારૂપ પગલાંને કારણે સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના અસામાજિક તત્વો, લુખ્ખાતત્વો અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસની આ ભીંસને પગલે શહેરના અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું તેમજ અન્ય તત્વો રડારમાં હોવાથી તેની સામે પણકડક કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે.