જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવા ના ફોન આપમેળ ‘કટ’ થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન
-
ગેસ એજન્સીઓ પણ ગ્રાહકો નું રૂબરૂ બુકીંગ કરી શકતી ન હોવાથી મુશ્કેલીઓ માં વધારો
દેશ દેવી ન્યુઝ તા . ૧૩ માર્ચ ૨૬ જામનગર તા.૧૩, દેશમાં ગેસના બાટલાની કોઈ અછત નથી તેવું સરકારે જાહેર કર્યું છે, પરંતુ કોઈપણ કારણોસર બાટલાનું ટેલિફોનિક બુકીંગ થતું નથી, અને બાટલાનું બુકીંગ કરાવવા ગ્રાહકો ગેસ એજન્સીમાં રૂબરૂ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ઓન લાઈન બુકીંગ સિસ્ટમ અમલમાં હોવાથી રૂબરૂ નોંધણી થતી નથી. આથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.
પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિની આંશિક અસર જોવા મળી રહી છે. હવે ગેસના બાટલા મેળવવા ગ્રાહકોને મુશ્કેલી નડી રહી છે, જો કે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ઓઈલ કંપનીઓ સાથે સંકલન કરી ગેસના બાટલાનો પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને બે બાટલાના બુકીંગ વચ્ચે રપ દિવસનું અંતર રાખવા નિર્ણય લેવાયો છે. બીજી તરફ ગેસની અછતની અફવાના કારણે લોકો ધડાધડ બાટલાનું બુકીંગ કરાવી રહ્યા છે. આથી બાટલાના બુકીંગ માટે લોકોને સમસ્યા થઈ રહી છે. આજે સવારે જાતે એક ગેસ એજન્સીમાં તપાસ કરવા જતા ત્યાં ગ્રાહકોની ગીર્દી જોવા મળી રહી છે. આજે સવારે અનેક ગ્રાહકો બાટલાની બુકીંગ ઓફિસે રૂબરૂ પહોંચ્યા હતાં જ્યાં જવાબ મળ્યો હતો કે બાટલા બુકીંગ માટે ટેલિફોનિક ઓટોમેટિક સિસ્ટમ ફરજિયાત છે. જે નિર્ણય સરકારનો છે. માટે અમારા થી રૂબરૂ બુકીંગ કરી શકાતું નથી.
આથી ગ્રાહકોને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ ટેલિફોનિક બુકીંગ સિસ્ટમથી બુકીંગ કરવાનો પ્રયત્ન કરતા ફોન ઓટોમેટિક કટ થઈ જાય છે અથવા સતત ર૪ કલાક એંગેજ મળે છે. આથી લોકોને સમસ્યા નડી રહી છે. એકંદરે લોકોને હાલ મોટી મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે. ગેસ વિતરક એજન્સીમાં ૫ણ સર્વર ડાઉન હોવાના કારણે બાટલાનું બુકીંગ થતું નથી. આથી ગેસ એજન્સીના સંચાલકો પણ લાચારની સ્થિતિમાં મૂકાયા છે અને ગ્રાહકોને જવાબ દેવામાં પરેશાની ભોગવી રહ્યા છે.


