જામનગરના હનુમાન ટેકરી સહિતના નાગરિકોને રેલવે તંત્ર દ્વારા મળેલી નોટિશ બાદ સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સાંસદ સમક્ષ રજૂઆત
-
દિલ્હીથી જામનગર આવી પહોંચેલા સાંસદે પોતાના કાર્યાલય પર તમામ સ્થાનિકોને મોડી રાત્રે સાંભળી સર્વે ને યોગ્ય ઉકેલ ની ખાત્રી આપી
-
આગામી સોમવારે રેલવે તથા સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ત્વરિત બેઠક યોજી પ્રશ્નનું નિરાકરણ લાવવા હૈયાધારણા અપાઇ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૬, જામનગરના દિગ્જામ સર્કલ નજીકના હનુમાન ટેકરી અને તેના આસપાસના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં તાકીદે જગ્યા ખાલી કરી આપવાની નોટિસ અપાયા બાદ સ્થાનિકોમાં ડિમોલેશનનો ડર પેસી ગયો હતો, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અનેક લોકોના ટોળા મહાનગરપાલિકાની કચેરી અને જિલ્લાના વહીવટી તંત્ર પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
ત્યારબાદ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓ ગઈકાલે સાંજે લોકસભાનું સત્ર પૂર્ણ કરીને તરત જ હવાઈ માર્ગે જામનગર આવી પહોંચ્યા હતા, અને મોડી રાતેજ સીધા પોતાના કાર્યાલય પર પહોંચ્યા હતા, જે દરમિયાન સ્થાનિકોએ તેઓના પ્રશ્ન અંગે રજૂઆત કરતાં સાંસદે સર્વેને યોગ્ય ઉકેલ લાવવા માટે હૈયા ધારણા આપી હતી.
સાંસદ પૂનમબેન માડમ એ પોતાના કાર્યાલયમાં તમામ સ્થાનિકોને બોલાવ્યા હતા, જ્યાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી તેઓની સાથે જોડાયા હતા. જામનગર શહેરમાં ગઈકાલે દિવસભર બનેલી તમામ ઘટનાઓના સંદર્ભમાં બે થી ત્રણ વખત બીનાબેન કોઠારીએ સમગ્ર ઘટનાક્રમ ની માહિતી આપી હતી,.જેની ચિંતા વ્યક્ત કરીને મોડી રાત્રે જ તમામ સ્થાનિકોની સાથે બેઠકોનો દોર યોજીને યોગ્ય નિરાકરણ લાવવા માટેની તમામ ને સાંસદ પુનમબેને હૈયાધારણા આપી હતી.
રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લઈને અનુસરીને સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રેલવે અધિકારીઓ સાથે પોતે તાકીદની બેઠક યોજીને આ મામલે યોગ્ય ઉકેલ લાવે તે અંગે ત્વરિત ચર્ચા કરી લઈ સ્થાનિક નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા અને પુનર્વસન માટે પૂરતો સમય મળી રહે, અને તે દિશામાજ યોગ્ય કાર્યવાહી થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે, તેમ જણાવ્યું હતું.
આગામી સોમવારે રેલવે વિભાગના ડીઆરએમ તેમજ જામનગરના જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનર વગેરેની સાથે સંયુક્ત બેઠક યોજીને વોર્ડ નંબર ૬ ના તમામ રહેવાસીઓના પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવે, ઉપરાંત રેલવે વિભાગની જમીનમાં જે લોકો વસવાટ કરતા હોય તે તમામને પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે નો પૂરતો સમય મળી રહે, તે દિશામાં કાર્યવાહી થાય તે અંગે ચર્ચા કરવા માટેની સર્વેને હૈયાધારણાં આપી હતી.
સાથે સાથે તેઓએ ઉલ્લેખ કર્યો હતો, કે રેલવે તંત્ર દ્વારા જે લોકોને નોટિસ પાઠવાઇ છે, તેમાં કેટલાક મહાનગરપાલિકાની જગ્યામાં પણ વસવાટ કરે છે, જ્યારે કેટલાક નાગરિકોને અગાઉ ભૂતકાળમાં સનદ પણ મળી ચૂકેલી છે. જેથી રેલવે વિભાગ દ્વારા જે નોટિશ અપાઈ છે, તેમાં ફરીથી આ વિસ્તારનો સર્વે કરી તેમજ તમામ નાગરિકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનો પૂરતો સમય મળી રહે, તે દિશામાં જ સમગ્ર કાર્યવાહી કરવા માટેના પોતાના સંપૂર્ણ પ્રયાસો રહેશે, તેવી આ તકે ખાતરી આપી હતી. જેથી સર્વે સ્થાનિક રહેવાસીઓમાં રાહત પહોંચી છે.


