જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને એક માસ પહેલાં જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લેતાં ભારે અરેરાટી
-
માતાએ રાજકોટમાં રહેતા તેના સાસરા પક્ષના કુટુંબીઓને ત્યાં રોટલા ખાવા જવા માટેનો આગ્રહ રાખતાં યુવકને પસંદ ન હોવાથી આપઘાત કર્યો
-
ચાની લારી ચલાવતા પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો : પત્નીના હાથની મહેંદી સુકાઈ નથી ત્યાં તેણીના માથાનો સેંથો ભૂસાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૬ , જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પિતાની સાથે ચા ની લારીમાં કામ કરતા હર્ષ ભરતભાઈ ડાંગર નામના ૨૧ વર્ષના આહીર યુવાને ગઈકાલે હાપા નજીક એક માલગાડી હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. મૃતક યુવાન આવેશમાં આવીને પોતાના ઘેરથી નીકળી ગયો હતો, અને ટ્રેનના પાટા ઉપર ઉભો રહી ગયો હતો. જે દરમિયાન એકા એક ધસમસ્તી માલગાડી આવી ગઈ હતી, અને તેના દેહના બે ટુકડા થઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ થતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતક યુવાનના દેહ નો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ મૃતદેહ તેના પિતાને સોંપી દીધો હતો. પોલીસે મૃતક ના પિતા ભરતભાઈ કરસનભાઈ ડાંગરનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે મૃતક હર્ષ ડાંગરના લગ્ન આજથી માત્ર ૩૭ દિવસ પહેલાં જ થયા હતા, અને લગ્ન બાદ પોતાના શાસરા પક્ષમાં રાજકોટમાં કુટુંબીઓને ત્યાં રોટલા ખાવા માટે જવાનું હતું, જેથી તેની માતાએ રાજકોટમાં જવાનું કહેતાં પુત્રને પસંદ પડ્યું ન હતું, અને તેને મનમાં લાગી આવ્યું હોવાથી માલગાડી હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો હતો.
માલગાડીના લોકો પાયલોટ ને અચાનક ધ્યાનમાં આવ્યું હતું કે એક યુવાન પાટા પર અચાનક આવીને ઊભો રહી ગયો છે, પરંતુ કાંઈ સમજે તે પહેલાં તે માલગાડીની હડફેટમાં આવી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું હતું. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઇ છે. ચા ની લારી ચલાવતા ભરતભાઈ ડાંગર કે જેઓને સંતાનમાં એકનો એક પુત્ર હતો, અને હર્ષ ની પત્ની કે જેના હાથની હજુ મહેંદી સુકાઈ નથી, ત્યાં જ તેના માથાનો સેંથો ભૂસાયો છે તેથી પરિવારમાં આભ ફાટી પડ્યું છે.


