જામનગર તાલુકાના બેરાજા ગામમાં વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર ખેડૂત ની ધરપકડ
-
જામનગરના પોલીસ તંત્ર દ્વારા પોતાની વાડીમાં ફ્રેન્સિંગમાં ગેરકાયદે વિજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક ને કડક ચેતવણી અપાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ સપ્ટેમ્બર ૨૫ જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક ખેડૂતે પોતાની વાડીના શેઠે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જે સ્થળે એક યુવાનને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખાવવા બદલ ગુનો નોંધ્યો છે. અને તેની ધરપકડ કરી લીધી છે, જ્યારે આવા વાડી માલિકો સામે પોલીસ તંત્રએ સખ્તાઈ વર્તી છે, અને વીજ પ્રવાહ ચાલુ નહીં રાખવા માટે કડક સૂચના અપાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો ભુપત હરજીભાઈ ઠુંગા નામનો ૩૨ વર્ષનો માલધારી યુવાન કે જે ગઈકાલે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગામની ઉગમણી સીમ વિસ્તારમાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીન વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં બેરાજા ગામના જ ખેડૂત કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના ખેડૂતે વાવેતર કર્યું હતું, અને કપાસના વાવેતર ની ફરતી કાંટાળી તાર ફીટ કરી હતી, જેની અંદર વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો. જે કાંટાળી તારમાંથી માલધારી યુવાન ભુપતને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ભુપતભાઈ ના ભાઈ રમેશભાઈ હરજીભાઈ ઠુંગાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એમ.એન. શેખ એ મૃતદેહ નો કબજો સંભાળી પોતાની વાડી ના શેઢે ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક બેરાજા ગામના કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ ની ધરપકડ કરી લીધી છે.
જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર બી. દેવધાએ આ મામલામાં ગંભીરતા દાખવી અને ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોને ચેતવણી આપી છે. પોતાની વાડીની કાંટાળી તારમાં બેદરકારી દાખવીને વિજ પુરવઠો ચાલુ કરી દે છે, જેના કારણે કેટલીક વ્યક્તિને વિજ આંચકો લાગવાથી મૃત્યુના બનાવ બને છે, જેથી આવી પ્રવૃત્તિ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી છે. અન્યથા કોઈ વાડી માલિક દ્વારા આવી પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે, તો તેઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવાયું છે.