‘જય ગણેશ’ ના નાદ સાથે પગપાળા યાત્રા: ૨૭ કિમી ચાલીને દાદાના દરબારમાં પહોંચ્યા ભાવિકો, લીધા આશીર્વાદ

0
23238

જામનગર નજીક સપડામાં આજે ગણેશ ચતુર્થીએ સપડેશ્વર ગણપતિજીના મંદિરે વહેલી સવારથી ભક્તોની કતારો

  • જામનગરથી ૨૭ કિલોમીટરની પદયાત્રા કરી શ્રદ્ધાળુઓએ ગણેશજીના દર્શન કરી માનતા પૂર્ણ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ સપ્ટેમ્બર ૨૬, જામનગર નજીક સપડા ખાતે આવેલા પ્રસિદ્ધ સપડેશ્વર ગણપતિજીના મંદિરે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની કતારો જોવા મળી હતી. ભક્તોએ મંગળા આરતીના દર્શન સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.ગણેશ ચતુર્થીના પર્વને લઈને મંદિરમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશજીના દર્શન કરી સુખ-સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે કેટલાક શ્રદ્ધાળુઓએ જામનગરથી સપડા સુધીની આશરે ૨૭ કિલોમીટરની પદયાત્રા કરી સપડેશ્વર ગણપતિજીના મંદિરે પહોંચીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. પદયાત્રા કરી આવેલા ભક્તોએ ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.