જામનગર નજીક દરેડ વિસ્તારમાં પ્રેમસંબંધની શંકામાં ૧૬ વર્ષના કિશોરની હત્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર
-
દરેડમાં બપોરના સમયે સાગર ખરા પર હુમલો કરાયો : ઘટનાસ્થળે જ મોત, ચાર સામે ગુનો નોંધાયો, ત્રણ આરોપીની અટકાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨, સપ્ટેમ્બર ૨૬ જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમપ્રકરણના મામલે ૧૬ વર્ષના કિશોરની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દરેડ ગામમાં રહેતા ૧૬ વર્ષના સાગર ખરા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને મૃતક ત્યાં જ ઢળી પડ્યો હતો.આ બનાવ બાદ સાગરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પોસ્ટ મોર્ટમબાદ મૃતદેહનો કબજો તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાની પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણનો મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક સાગર ખરા અને પાડોશી વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકાને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.આ બનાવ અંગે પોલીસે દિનેશ જેઠાભાઇ ગોહિલ, જગદીશ જેઠાભાઇ ગોહિલ, પ્રેમ નારાયણ ઉર્ફે પીન્ટુ પ્રજાપતિ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રેમસંબંધની શંકામાં માત્ર ૧૬ વર્ષના કિશોરની હત્યા થઈ જતા દરેડ ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યાના કારણો, આરોપીઓની ભૂમિકા અને ઘટનાની સમગ્ર કડી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

