જામજોધપુરમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો ઉપવાસ પર બેઠા
-
ફુલઝર (કોબા) ડેમની કેનાલનું પાણી ન મળતાં ૧૫ ખેડૂતોનો આક્રોશ : આત્મવિલોપનની ચીમકી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ૨૬, જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) ડેમ વિસ્તારમાં કેનાલ મારફતે સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હોવા છતાં કેનાલ મારફતે પાણી ન મળતાં આક્રમક બનેલા ૧૫ જેટલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, ફુલઝર (કોબા) ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવાની વ્યવસ્થા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર માટે મોટો ખર્ચ કર્યો છે. હાલ વરસાદ ખેંચાતાં ઉભા પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સરકારના હુકમ મુજબ કેનાલ મારફતે સિંચાઈનું પાણી મળવાનું હોવા છતાં ખેડૂતોને પાણી મળી રહ્યું નથી. જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે.
આ પ્રશ્ન અંગે પાડોદરા વિજયભાઈ વલ્લભભાઈ સહિતના ખેડૂતોએ જામજોધપુર મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતરમાં કરેલા ખર્ચને બચાવવા માટે હાલ તાત્કાલિક સિંચાઈનું પાણી જરૂરી છે. પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.ખેડૂતોના ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકીને પગલે તંત્ર દ્વારા આ પ્રશ્ને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કેનાલ મારફતે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.


