ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૦ મીએ સંભવિત જામનગર પ્રવાસ : તંત્ર એલર્ટ

0
38146

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૦ મીએ સંભવિત જામનગર પ્રવાસ : તંત્ર એલર્ટ મોડ પર

  • એરફોર્ષ સ્ટેશનથી લાલબંગલા સર્કલ સુધી ભવ્ય સ્વાગતની તૈયારીઓ તેજ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગ્રહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત

  • જામનગરના લાલ બંગલા સર્કલમાં ૨૦ મિનિટ માટેના વડાપ્રધાન સાથેના ‘મિલન સ્ટેજ પ્રોગ્રામ’ નો તખ્તો ગોઠવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮, મે ૨૬ જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત પ્રવાસ નિર્ધારિત થતાં સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તા. ૧૦ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિના સમયે જામનગર આવી પહોંચે તેવી શક્યતા વચ્ચે તેમના આગમનથી લઈને રાત્રિ રોકાણ સુધીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે રાત્રિના અંદાજે પોણા દસ વાગ્યાના સમયે જામનગર એરફોર્ષ સ્ટેશન પર આવી પહોંચશે. જ્યાં એરબેઝ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઉપરાંત જામનગરના જિલ્લા કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ. કમિશનર ડી એન મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ સહિતના ઉચ્ચ અધિકારીઓ, તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ ડો. વિનોદ ભંડેરી તથા અન્ય મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

એરફોર્ષથી સર્કિટ હાઉસ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સમગ્ર રૂટ સહિતના મુખ્ય માર્ગો પર બેરિકેટીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ, એસ.પી.જી., રાજ્ય પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાનનો કાફલો એરફોર્ષથી નીકળી લાલબંગલા સર્કલ ખાતે પહોંચશે, જ્યાં અંદાજે વીસ મિનિટનો સ્ટેજ કાર્યક્રમ યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન જામનગરના પ્રબુદ્ધ નાગરિકો, ભાજપ કાર્યકરો અને શહેરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

ભાજપ સંગઠન દ્વારા આવકારની તૈયારીઓ

વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારી સહિતના આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો સક્રિય રીતે જોડાયા છે. શહેરભરમાં સ્વાગત બેનરો, માર્ગ સજાવટ અને વિવિધ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વહેલી સવારે આગળના કાર્યક્રમો માટે રવાના થશે.

રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જામનગર એરપોર્ટથી હવાઈ માર્ગે આગળના કાર્યક્રમો માટે રવાના થશે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ સોમનાથ મહાદેવના સાનિદ્ધ્યમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ત્યારબાદ વડોદરા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં અને રોડ શો માં પણ ભાગ લેશે.તંત્ર દ્વારા સતત સમીક્ષા બેઠક : વડાપ્રધાનના પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને એસ.પી.જી.ની સંયુક્ત બેઠકો સતત યોજાઈ રહી છે. એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ સહિતના સ્થળોએ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સમગ્ર જામનગર શહેર હાલ વડાપ્રધાનના આગમનને લઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.