જામનગરનું ચકચારી ”મેનેજર” અપહરણકાંડ પલટાયું : આરોપીઓને જેલ મુક્તિ

0
65625

જામનગર : ૨૭ લાખના હિસાબે અપહરણ અને ખંડણીનો કેશ : સેશન્સ કોર્ટે આરોપીઓને આપ્યા જામીન

  • રાજેશ ગોસાઈની દલીલો જીતી ; કિડનેપ કેસમાં પોલીસની રિમાન્ડ માંગણી ફગાવાઈ, આરોપીઓને જામીન

દેશ દેવી ન્યુઝ તા ૭ મે ૨૬ જામનગરમાં ચકચારી બનેલા રાજકોટના ઈન્સ્યુરન્સ કંપનીના મેનેજર અને તેમના પરિવારના અપહરણ, મારમારી અને ખંડણીના ચર્ચાસ્પદ કેસમાં જામનગરની નામદાર સેશન્સ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. પોલીસે આરોપીઓના વધુ રિમાન્ડ માટે જોરદાર દલીલો કરી હતી, છતાં કોર્ટે આરોપી પક્ષની રજૂઆતો માન્ય રાખી પોલીસની માંગણી ફગાવી દીધી હતી.

કેસની હકીકત મુજબ રાજકોટ ખાતે રહેતા ફરીયાદી નિમેષ તન્નાને જામનગરના ચીરાગ સુરેશભાઈ આહીરે પોતાના મિત્ર જયદીપસિંહ જાડેજાના “વ્હાઈટના પૈસા બ્લેક” કરવા માટે એકાઉન્ટ એરેન્જમેન્ટ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ફરીયાદીએ પોતાના મિત્રના ખાતામાં આશરે રૂ.૨૭ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા જમા થયા બાદ કમીશન કપાઈ બાકી રકમ પરત આપવા મામલે વિવાદ ઊભો થયો હતો.ફરીયાદી પૈસા પરત આપવામાં ગલ્લાતલ્લા કરતા રાજકોટ છોડીને નીકળી ગયા હોવાની જાણ થતાં ચીરાગ આહીર, જયદીપસિંહ જાડેજા, એજાજ સાયચા અને અક્ષય ચાવડા તેમને શોધવા નીકળ્યા હતા. આરોપીઓએ ચોટીલા નજીકથી ફરીયાદી, તેમની પત્ની, ડ્રાઈવર અને લખન ધેડીયાને કબ્જે કરી જામનગર લાવ્યા હોવાનો આક્ષેપ છે. અહીં તેમને અલગ અલગ સ્થળે ગોંધી રાખી મારમાર કરવામાં આવ્યો હતો તેમજ રૂ.૯ લાખ વસૂલવામાં આવ્યા હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.

આ સમગ્ર ઘટનામાં ફરીયાદીના પત્ની અને બાળકોને બાદમાં મુક્ત કરી દેવાયા હતા, જ્યારે ફરીયાદીને વધુ પૈસાની માંગણી સાથે કબ્જામાં રાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દરોડો પાડી ફરીયાદીને છોડાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીઓએ ગંભીર પ્રકારનો અપહરણ અને ખંડણીનો ગુનો કર્યો છે, તેમજ હજુ રૂ.૯ લાખની રકમ અને અન્ય મુદ્દાઓની તપાસ બાકી છે. સાથે અજાણ્યા શખ્સોની સંડોવણી અને અલગ અલગ સ્થળે રાખી મારમાર કરવાના મુદ્દાઓની પણ તપાસ કરવાની જરૂર હોવાનું રજૂ કરાયું હતું.

જ્યારે આરોપી પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે સમગ્ર મામલો માત્ર નાણાકીય લેવડદેવડનો છે અને ફરીયાદીએ પોતે જ રૂ.૨૭ લાખ પરત ન આપ્યાનું સ્વીકાર્યું છે. ખોટી રીતે દબાણ બનાવવા ફરિયાદ નોંધાવાઈ હોવાનો પણ બચાવ કરવામાં આવ્યો હતો.
તમામ રજૂઆતો બાદ નામદાર સેશન્સ કોર્ટે આરોપી પક્ષની દલીલો માન્ય રાખી પોલીસની રિમાન્ડ અરજી ફગાવી આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તથા કરણ કે. પટેલ હાજર રહ્યા હતા.