જામનગર ના પ્રદર્શન મેદાન માં લોકમેળો યોજવા સામે મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલતે ફગાવ્યો: અરજદારને ૧૦,૦૦૦ નો દંડ

0
66

જામનગર ના પ્રદર્શન મેદાન માં લોકમેળો યોજવા સામે મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલતે ફગાવ્યો : અરજદારને ૧૦,૦૦૦ નો દંડ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મેળામાં ભીડ અને ટ્રાફિક જામ તેમજ અકસ્માત ની ભીતિ સર્જાશે, તેવી દહેશત વ્યક્ત કરીને જામનગરના એક એક્ટિવિસ્ટે મેળો યોજવા સામે મનાઈ હુકમ મેળવવા માટે દાવો નોંધાવ્યો હતો, જે અદાલતે રદ કર્યો છે. અને એકટીવિસ્ટ ને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.આ દાવાની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધી ૧૫ દિવસ માટેના શ્રાવણી મેળાનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ પ્રદર્શન મેદાનમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર જગ્યા એસટી ડીવીઝનને ફાળવી દેવામાં આવી છે, જ્યારે બાકીની જગ્યામાં શ્રાવણી મેળો યોજાયાઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા, ભીડ અને અકસ્માતની ભીતિ સર્જાશે, તેવી દહેશત વ્યક્ત કરીને જામનગરના એકટીવીસ્ટ કલ્પેશ આસાણીએ જામનગરની અદાલતમાંથી મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો.જેમાં સૌપ્રથમ અદાલતે ૭મી ઓગસ્ટ ની તારીખ મુકરર કરી હતી, પરંતુ ૧૦ તારીખે મેળો શરૂ થઈ જતો હોય ખૂબ જ ઓછો સમય મળતો હોવાના કારણે એક્ટિવિસ્ટ દ્વારા સેસન્સ કોર્ટ માં અપીલ કરી હતી, અને ગઈકાલે સોમવારે તેની સુનાવણી રાખવામાં આવી હતી.જેમાં મહાનગરપાલિકા તરફે રોકાયેલા એડવોકેટ વિરલ રાચ્છ, તેમજ એક્ટિવિસ્ટના વકીલ વચ્ચે બે દિવસની લાંબી દલીલો ચાલી હતી. અદાલતે સમગ્ર પ્રકરણમાં અવલોકન કર્યા બાદ એકટીવીસ્ટ વારંવાર આવા દાવા લાવવાની ટેવ વાળા છે, તેવી રજૂઆતો અને મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન સંદર્ભેનું અવલોકન કર્યા બાદ એક્ટિવિસ્ટ કલ્પેશ આસાણીનો મનાઇ હુકમ મેળવવાનો દાવો ફગાવી દેવાયો છે, ઉપરાંત અદાલત ને ખર્ચ પેટે એક્ટિવિસ્ટરને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે, અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માં જમા કરાવવાનો આદેશ કરાયો છે. આ હુકમને લઈને આજે શ્રાવણી મેળો યોજવા માટેનો માર્ગ મોકળો થયો છે. જોકે તંત્ર દ્વારા પણ સંપૂર્ણપણે તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે.