જામનગર મહાનગર પાલિકા ની કચેરીમાં કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ના રેકડી ધારકોના પ્રશ્ને ધરણા
-
મ્યુનિ. કમિશનર કચેરીના દ્વારે ધરણા કરાયા બાદ સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા કોંગી કોર્પોરેટરની અટકાયત કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ મે ૨૫, જામનગરમાં તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૪ ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેઓને સાથે રાખીને આજે મ્યુનિ. કમિશનર કચેરીના દ્વારે ધરણા કર્યા છે. જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે.
કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે બપોરે મ્યુનિ. કમિશનરને મળવા માટે ગયા હતા, પરંતુ કમિશનરે મળવાનો સમય નહીં આપતાં તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી, અને રેકડી ધારકોની સાથે કમિશનર કાર્યાલય ના દ્વારે ધરણા પર બેસી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું છે.
દરમિયાન સીટી એ ડિવિઝનના પીઆઇ એન એ ચાવડા મહિલા પોલીસની ટીમ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમયે ભારે ગરમા ગરમી થઈ હતી.